Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

1 Samuel 26

1. ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ અરણ્ય સામેના હખીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી?”

2. એ જાણીને શાઉલ ઇઝરાયલના ત્રણ હજાર પસંદ કરાયેલા માણસોને પોતાની સાથે લઈને દાઉદની શોધમાં ઝીફના અરણ્યમાં ઊતરી પડયો.

3. શાઉલે અરણ્ય સામેના હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદ અરણ્યમાં રહેતો હતો. તેણે જાણ્યું કે શાઉલ મારી પાછળ અરણ્યમાં આવ્યો છે.

4. માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે.

5. દાઉદ ઊઠીને જ્યાં શાઉલે છાવણી નાખી હતી તે જગ્યાએ આવ્યો; શાઉલ તથા તેના સેનાપતિ નેરનો દીકરો આબ્નેર સૂતા હતા તે જગ્યા દાઉદે જોઈ. શાઉલ ગાડાંના કોટને ઓથે સૂતો હતો અને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા.

6. ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબિશાયને, યોઆબના ભાઈને કહ્યું, “મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?” અબીશાયે કહ્યું, “હું તારી સાથે નીચે ઊતરીશ.”

7. તેથી દાઉદ તથા અબિશાય રાતે સૈન્ય પાસે આવ્યા. અને ત્યાં શાઉલ છાવણીની અંદર સૂતેલો હતો, તેનો ભાલો તેના માથાની બાજુએ ભોંયમાં ખોસેલો હતો. આબ્નેર તથા તેના સૈનિકો તેની આસપાસ સૂતેલા હતા.

8. ત્યારે અબિશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપ્યો છે. તો કૃપા કરી મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે. તેને બીજા ઘાની જરૂર નહિ પડે.”

9. દાઉદે અબિશાયને કહ્યું, “તેને મારી નાખીશ નહિ. કેમ કે ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ પોતાના હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”

10. દાઉદે કહ્યું” જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે.

11. ઈશ્વર એવું ન થવા દો કે હું મારો હાથ ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ ઉગામું પણ હવે, તને આજીજી કરું છું, તેના માથા પાસેનો ભાલો તથા પાણીનું પાત્ર લઈ લે. અને પછી જઈએ.”

12. તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.

13. પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર ઉપર દૂર ઊભો રહ્યો; તેઓની વચમાં ઘણું અંતર હતું.

14. દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબ્નેરને મોટેથી કહ્યું, આબ્નેર તું કેમ ઉત્તર નથી આપતો?” ત્યારે આબ્નેર ઉત્તર આપ્યો “રાજાને ઊંચા અવાજે બોલાવનાર તું કોણ છે?”

15. દાઉદે આબ્નેરને કહ્યું, “શું તું શૂરવીર માણસ નથી? ઇઝરાયલમાં તારા સરખો કોણ છે? તો શા માટે તેં તારા માલિક રાજાની સંભાળ રાખી નથી? કેમ કે તારા માલિક રાજાનો નાશ કરવા કોઈ આવ્યું હતું.

16. આ જે બાબત તેં કરી છે તે ઠીક નથી. જીવતા ઈશ્વરના સમ, તમે મરવાને લાયક છે કેમ કે તમે તમારા માલિક, એટલે ઈશ્વરના અભિષિક્તની સંભાળ રાખી નથી. અને હવે, રાજાનો ભાલો તથા તેના માથા પાસેનું પાણીનું પાત્ર ક્યાં છે તે જુઓ.”

17. શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે?” દાઉદે કહ્યું કે, “હે મારા માલિક રાજા, એ મારો અવાજ છે.”

18. તેણે કહ્યું, “શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે?

19. તેથી હવે, મારા માલિક રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં. જો ઈશ્વરે તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય, તો તેમને આ અર્પણનો અંગીકાર કરવા દો; પણ જો તે માનવ જાતનું કામ હોય, તો તે માણસો ઈશ્વરની આગળ શાપિત થાઓ, કેમ કે તેઓએ મને આજે કાઢી મૂક્યો છે કે, હું ઈશ્વરના વારસાનો ભાગીદાર ના બનું. તેઓએ મને કહ્યું, ‘જા અને બીજા દેવોની ઉપાસના કર.’

20. તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”

21. પછી શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દીકરા દાઉદ, પાછો આવ; કેમ કે હવે પછી હું તને ઈજા નહિ કરું. આજે તારી નજરમાં મારો જીવ મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરી છે અને ઘણી ભૂલ કરી છે.”

22. દાઉદે જવાબ આપ્યો કે” હે રાજા, જુઓ, તમારો ભાલો અહીં છે! જુવાન પુરુષોમાંથી કોઈ એક અહીં આવીને તે લઈ જાય.

23. ઈશ્વર દરેક માણસને તેના ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે; કેમ કે ઈશ્વરે તમને આજે મારા હાથમાં સોંપ્યાં હતા, પણ મેં ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ મારો હાથ ઉગામવાની અપેક્ષા રાખી નહિ.

24. અને જો, જેમ તારો જીવ આજે મારી દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન હતો, તેમ મારો જીવ ઈશ્વરની દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન થાઓ અને તે મને સર્વ સંકટોમાંથી ઉગારો.”

25. પછી શાઉલે દાઉદને કહ્યું, “મારા દીકરા દાઉદ, તું આશીર્વાદિત થા, કે જેથી તું પરાક્રમી કૃત્યો કરે અને પછી તું નિશ્ચે ફતેહ પામે.” તેથી દાઉદ પોતાને રસ્તે ગયો અને શાઉલ પોતાના સ્થળે પાછો ગયો.